Site icon Ayurvedam

શું તમે પણ પાર્ટનરના નસકોરાંથી પરેશાન છો? તો કરો આ ઘરેલૂ ઉપાય અને મેળવો આ સમસ્યાથી કાયમી છુટકારો

ઊંઘમાં નસકોરા બોલાવતા લોકોને કારણે આસપાસ સૂતેલા લોકો તો પરેશાન થઇ જતા હોય છે એ તો સામાન્ય વાત છે.નસકોરા બોલાવનાર વ્યક્તિની ઊંઘ ઘસઘસાટ નહીં પણ અધકચરી કહેવાય છે. કોઈ વ્યક્તિ ઊંઘમાં નસકોરાં બોલાવતી હોય ત્યારે તેના મગજને ઓછો આરામ મળે છે. લોકો એવું પણ માનતા હોય છે કે નસકોરાં સાથે ઊંઘનાર વ્યક્તિ અત્યંત ગાઢ નિદ્રામાં હોય છે, પરંતુ તબીબી દૃષ્ટિએ આ માન્યતા ખોટી તથા ભૂલભરેલી છે. નસકોરાં બોલાવવાની પ્રક્રિયાને તબીબી દૃષ્ટિએ બે પ્રકારે જોવામાં આવે છે. જેમાંથી એક છે સામાન્ય નસકોરાં જે ઘણી વખત વધારે પડતા શ્રમ અથવા થાક્યા પછી ઊંઘમાં બોલે છે, તેને મોટે ભાગે નિર્દોષ માનવામાં આવે છે. જ્યારે બીજા પ્રકારને snoring તથા ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીઆ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની ઊંઘમાં નસકોરાં સતત બોલતાં નથી, પણ તેની સાથે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા વારંવાર બદલાય છે અને ઘણી વાર શ્વાસ થોડી સેકંડ માટે બંધ પણ થઈ જાય છે. થોડી વાર બાદ વ્યક્તિ ઝબકીને જાગી જાય તેમ મોટા અવાજે શ્વાસ ફરીથી શરૂ થાય છે.

નસકોરા શા માટે બોલે છે ?

જયારે આપણે રાત્રે ઊંઘી જઈએ છીએ ત્યારે શરીર ના બધા જ સ્નાયુઓ કુદરતી રીતે શિથિલ થઇ જાય છે, જેનાથી શરીર ના બધા જ અવયવો ને આરામ મળે છે. જેવી રીતે શરીર ના બધા જ સ્નાયુઓ શિથિલ થાય છે તેવી જ રીતે ગળા ના ભાગ માં આવેલા સ્નાયુઓ પણ શિથિલ થાય છે અને ગળાનો શ્વસન માર્ગ સાંકડો બને છે. આ એક સામાન્ય કુદરતી પ્રક્રિયા છે પરંતુ જો ગળા ના સ્નાયુઓ વધારે શિથિલ થાય અથવા ગળા ના ભાગમાં ચરબી ભરાવાથી શ્વસન માર્ગ વધારે સાંકડો થાય ત્યારે બહારની હવા (ઓક્સીજન ) ને સાંકડા શ્વસન માર્ગ માંથી પસાર થવા માં તકલીફ પડે છે. અને તે ભાગમાં ધ્રુજારી ઉત્પન્ન થઈને હવા શ્વસઅનતંત્ર માં જાય છે. એને કારણે જે અવાજ થાય છે તેને આપણે નસકોરા બોલે છે છીએ.

નસકોરાં બંધ કરવાના ઘરેલૂ ઉપાય:

નસકોરાં ઓછા કરવા અથવા તો બંધ કરવા માટે ફુદીનો ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. દરરોજ ઊંઘતા પહેલાં ફુદીનાના તેલનાં કેટલાંક ટીપાં નાકમાં નાખીને ઊંડો શ્વાસ લો. તેનાથી નાકનાં છિદ્રોમાં આવેલો સોજો ઓછો થઇ જશે અને તમે સરળતાથી શ્વાસ લઈ શકશો. તમે ઈચ્છો તો નાકની આજુબાજુ ફુદીનાનું તેલ લગાવીને પણ સૂઈ શકો છો, આમ કરવાથી પણ નસકોરાં બોલવાનાં બંધ થઈ જશે.

ઓલિવ ઓઇલમાં ઘણાં એવાં તત્વો હાજર છે, જેનાથી સરળતાથી શ્વાસ લઈ શકાય છે. જે વ્યક્તિને નસકોરાં બોલતાં હોય તેમણે રાત્રે સૂતી વખતે ઓલિવ ઓઇલમાં મધ મિક્સ કરીને ખાઇ લો આમ કરવાથી શ્વાસ લેવામાં સરળતા રહેશે. તમે ઈચ્છો તો દરરોજ રાત્રે હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પણ પી શકો છો.

દેશી ગાય નું ઘી નસકોરાં રોકવા માટે અસરકારક ઉપાય છે. દરરોજ રાત્રે ઊંઘતાં પહેલાં હળવા ગરમ કરેલા ઘીનાં 1-2 ટીપાં નાકમાં નાખો. આમ કરવાથી શ્વસનક્રિયા સરળ થઇ જશે. આ સિવાય રાત્રે હળદરવાળું દૂધ પીવાથી પણ નસકોરા બોલવાનાં બંધ થઈ જશે.

એલચી અથવા તેનો પાવડર પણ નસકોરાંની સમસ્યા દૂર કરવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. સૂવાના સમય પહેલાં ગરમ પાણીમાં એલચી અથવા તેનો પાવડર નાખીને તે પાણી પીઓ. આ ઉપાયથી નસકોરાંની સમસ્યા દૂર થઈ શકે છે.
લસણ પણ તમને સારી અને આરામદાયક ઊંઘ મેળવવામાં મદદ કરે છે. લસણમાં દર્દ મટાડવાનો ગુણ રહેલો છે. લસણ બ્લોકેજ સાફ કરવાની સાથે શ્વાસ લેવામાં પણ મદદ કરે છે. નસકોરાં રોકવા માટે લસણની 2-4 કળીઓ લો અને તેને સરસિયાના તેલમાં નાખી હળવું ગરમ કરો. પછી ઊંઘતાં પહેલાં આ તેલથી છાતી પર માલિશ કરો.

ગળા અથવા શ્વસન માર્ગમાં આવેલા સોજાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, જેના કારણે નાકમાંથી વિચિત્ર અવાજો આવે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા ઊંઘતાં પહેલાં ગરમ પાણીના કોગળા કરો, જેથી સોજો ઊતરી જશે અને નસકોરાંની સમસ્યામાં રાહત મળી જશે.

શરીરમાં પાણીની અછત હોવાથી પણ નસકોરાંની સમસ્યા ઉભી થાય છે. જ્યારે શરીરમાં પાણીની માત્રામાં ઘટાડો થાય છે, ત્યારે શ્વાસનળીથી નાક તરફ જતા માર્ગમાં રહેલો ભેજ સુકાઈ જતો હોય છે. આવી પરિસ્થિતિમાં સાઇનસ હવાની ગતિને શ્વસનતંત્ર સુધી પહોંચવામાં સહકાર આપી શકતું નથી અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેથી નસકોરાંની સમસ્યાથી છુટકારો મેળવવા દિવસભર પુષ્કળ પાણી પીધા કરો.
એવુ કહેવાય છે કે ડાબી બાજુ પડખું કરીને સૂવાથી નસકોરા ઓછા બોલે છે.

Exit mobile version