Site icon Ayurvedam

શક્તિનું કારખાનું છે આ ફળ, સાંધાના દુખાવા, લોહીની ઉણપ અને નબળાઈમાં તો છે દવા કરતા વધુ અસરકારક

પ્રાચીન સમયથી આપણા દેશમાં ખજૂરનો ઉપયોગ થાય છે. ચરકના વખતથી ખજૂર શ્રમહર તત્ત્વ તરીકે જાણીતી છે. ખજૂર રેચક પણ છે. રાત્રે પલાળી રાખીને સવારે બરાબર ચોળી-મસળીને તેને પીવાથી ઝાડો-દસ્ત સાફ આવે છે. ખજૂરમાંથી બનતો આસવ સંગ્રહણીના રોગીઓ માટે હિતકારક છે. તાવમાં મોઢું સુકાતું હોય અને શોષ પડતો હોય તો મોઢામાં ખજૂર અથવા દ્રાક્ષ રાખવી જોઈએ.

ખજૂર ચાળીસ તોલા, આમલી પાંચ તોલા (આમલી ચોળીને તેનું પાણી કરવું), દ્રાક્ષ બે તોલા, મરચું એક તોલો, આદું એક તોલો, જરૂર પૂરતું મીઠું અને ચાર તોલા ખાંડ નાખીને તેની ચટણી બનાવવાથી તે સ્વાદિષ્ટ અને ગુણકારી બને છે. આ ચટણી ખાવાથી રુચિ ઉત્પન્ન થાય છે, ખોરાકનું પાચન થાય છે અને ભૂખ લાગે છે.

ખજૂર પાંચ તોલા, જીરું એક તોલો, સિંધવ એક તોલો, મરી એક તોલો, સૂંઠ એક તોલો, પીપરીમૂળ અર્ધો તોલો અને લીંબુનો રસ (સાઇટ્રિક ઍસિડ) એક આની ભાર સર્વને બારીક વાટી ચાટણ બનાવીને ચાટવાથી વાયુ બેસી જાય છે. (આ ચાટણ ઘણું સ્વાદિષ્ટ અને પાચક છે.)

દરરોજ થોડી ખજૂર ખાધા બાદ ઉપર ચાર-પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રૂપમાં બહાર નીકળે છે; ફેફસાં સાફ બને છે; સળેખમ, શરદી, ખાંસી અને દમ મટે છે તેમજ લોહીની શુદ્ધિ થાય છે. ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં અર્ધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે. ખજૂરનો ઠળિયો બાળી કોલસો કરી તેની બબ્બે માસા રાખ દિવસમાં બે-ત્રણ વાર ઠંડા પાણી સાથે લેવાથી દસ્ત-ઝાડા બંધ થાય છે.

ખજૂર કે ખારેકના ઠળિયાને બાળી તેની રાખ કરી, કપૂર અને ધી મેળવી ખરલ કરી ચોપડવાથી ખરજવું મટે છે. ખજૂરનો થોડા મહિના નિયમિત ખોરાક તરીકે ઉપયોગ કરવાથી વારંવાર મૂર્છા આવતી હોય તેવી સ્ત્રીઓનો હિસ્ટીરિયા મટે છે.

Exit mobile version