બગડેલાં, ખાટાં, બહુ ખારાં તથા પિત્તને વધારનારાં અન્ન બહુ ખાવાથી આ રોગ થાય છે. વિરુદ્ધ અન્નપાન (કઠોળ અને દૂધ, દૂધ અને માછલાં, ડુંગળી અને દૂધ ઇત્યાદિ) તથા ભારે પદાર્થો ખાવાથી આ દર્દ થાય છે. અપચા ને લીધે પણ આ દર્દ થાય છે. તેને એસિડિટી કહેવામાં આવે છે.
પાચનક્રિયામાં ગોટાળો થવાથી આ દર્દ ઉત્પન થાય છે અન્ન બરાબર પાચન ન થાય એટલે હોજરીમાં પિત્ત થાય છે. આને લીધે છાતીમાં થોડું થોડું બળે છે, અર્થાત્ પિત્ત ઊંચું ચડીને ખાટા ઓડકાર આવ્યા કરે છે. આ પીત બહુ વધે છે તો છાતીમાં બળતરા થાય છે, માથું દુઃખે છે, ભૂખ વિચિત્ર પ્રકારની અને અનિયમિત લાગે છે, ઊંઘ બરાબર આવતી નથી, ઊલટી થાય એવું લાગે છે, કેટલીક વખતે સખત એસિડિટી ને લીધે ચામડીના કેટલાક રોગો પણ થાય છે.
કડવા તથા ખાટા ઓડકાર, શરીરમાં ભારેપણું, હદયમાં બળતરા , છાતીએ બળતરા (દાઝરો), ગળામાં દાહ, ઊલટી, ગ્લાનિ, અરુચિ, અજીર્ણ વગેરે આ દર્દનાં લક્ષણો છે. આ ઉપરાંત હાથપગમાં બળતરા, અન્ન ઉપર અભાવ, ઝીણો તાવ, ચેળ, શરીર ઉપર ઝીણી ઝીણી અસંખ્ય ફોલ્લીઓ વગેરે લક્ષણ પણ જોવામાં આવે છે.
એસિડિટી થવા પર મીંઢળનાં બીજથી અથવા લીમડાના રસથી દર્દી ને ઊલટી કરાવવી. પછી આમળાનો રસ 1 તોલા, દ્રાક્ષનો રસ 1 તોલા અને મધ 1 તોલા પીવરાવવું. આથી પિત્ત ઊલટી વાટે નીકળી જશે અને એસિડિટી માં શાંતિ થશે. ત્રિફલા, અરડૂસીનાં પાન, ગળો, ખડસલિયો, લીમડાની અંતરછાલ, કરિયાતું, પટોલ અને ગરમાળાનો ગોળ દરેક સરખે વજને લેવું અને મિશ્રણ તૈયાર કરવું અને તેમા મધ નાખીને પીવુ જોઈએ.
સુંઠ, મરી, પીપર, હરડે, બેડાં, આમળાં, મો, બિંડલુણ, વાવડીંગ, એલચી, તમાલપત્ર આ બધી વસ્તુઓ એક એક તોલો લેવી. લવીંગ ૧૧ તોલા લેવાં, નસોતર ૪૪ તોલા અને સાકર ૬૬ તોલા આ બધૂ લઈ વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરવું સવાર સાંજ ચૂર્ણ પાણી સાથે પીવું. એસિડિટી થવા પર બીજો બધો ખોરાક બંધ કરી ફક્ત મગનું ઓસામણ (ખટાશ તરીકે અંદર આમળાનું ચૂર્ણ નાખવું, કોકમ યા આમલી ન વાપરવાં.), ઘરના બનાવેલ લોંદા જેવા ભાત અને દૂધ. આ જ ખોરાક લેવો.
કેળામાં વિપુલ પ્રમાણમાં પોટેશિયમ અને ફાઈબર છે, જે પેટમાં એસિડના સ્તરને સંતુલિત કરે છે. જોકે, કાચાં કેળામાં એટલી માત્રામાં પોટેશિયમ ફાઈબર નથી હોતાં. એટલે એસિડિટી માટે હંમેશા થોડાં વધુ પાકાં કેળાનું સેવન જ કરવું જોઈએ. બનાના મિલ્ક શેક બનાવીને પણ પી શકો છો, જે કેળાં, દૂધ અને ખાંડને કારણે એસિડિટીને તરત જ દૂર કરશે.
ભોજન કરતી વખતે પાણીના બદલે નાળિયેરના પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. એસિડિટીના દર્દી એ ઝાડા સાફ લાવવા માટે નસોતર અને સાકરના પા તોલા ચૂર્ણનો સવારે પાણી સાથે ઉપયોગ કરવો. એસિડિટી થાય ત્યારે આઠ-દસ ઈલાયચીના દાણા લઈને તેને કૂટી નાંખો અને એક ગ્લાસમાં પાણીમાં નાંખી ઉકાળો, આ ઉકાળો ઠંડો થાય પછી તેને પીવો. આનાથી એસિડિટીમાં તરત રાહત મળે છે.
પટોળનાં પાન અને સૂંઠનો ઉકાળો સવારસાંજ પીવો.પટોળનાં પાન, જવ, ધાણા, પીપર અને આમળાં સમભાગે લઈ એનો ઉકાળો બનાવવો અને પછી મધ નાખી ને તે ઉકાળો પીવો. આ એસિડિટીમાં અવશ્ય લાભ દર્શાવે છે. એસિડિટી થઈ હોય તો એક ગ્લાસ પાણીમાં થોડી વરિયાળી, કાળી દ્રાક્ષ અને ખડી સાકર પલાળો અને અડધા કલાક પછી તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી ગાળી લો અને પી જાઓ. આનાથી એસિડિટી દૂર થશે.
કોકમ, એલચીના દાણા, જીરું અને સાકર પ્રમાણસર લઈ ચટણી બનાવી આ ચટણી સાથે કાચું નાળિયેર, કોથમીર અને ફુદીનો પણ નાખી શકાય છે. અને તેને સ્વાદિષ્ટ કરવા માટે થોડું સિંધવ મીઠું પણ નાખવું. આ ચટણીનું સેવન કરવાથી એસિડિટી મટે છે.
લવિંગમાં વાયુને એટલે કે ગેસને દૂર કરવાનો ગુણધર્મ છે. તે પાચનક્રિયાને સુચારુ બનાવે છે. તેને દાંત વચ્ચે રાખવાથી તેનો તેજ સ્વાદ આખા મોંમાં ફેલાઈ જાય છે, જેથી લાળગ્રંથિઓ સતેજ થાય છે, જે પાચનક્રિયાને વેગીલી બનાવે છે અને સારા પાચનનો અર્થ છે એસિડિટીથી છૂટકારો!
પાણીમાં ફૂદીનાના થોડા પાંદડા ઉકાળો અને જમ્યા પછી એક ગ્લાસ આ ઉકાળો પીવાથી એસિડિટી નહીં થાય. લવિંગ મોઢામાં નાખીને ચુસવાથી પણ રાહત મળે છે. ગોળ, કેળું, લીંબુ, બદામ ,દહીં વગેરેથી પણ એસિડિટીમાં તાત્કાલિક રાહત મળે છે. ધુમ્રપાનને કારણે પણ એસિડિટી થઈ શકે છે, તેથી ધુમ્રપાન ન કરવું.